કચ્છ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી સમયાતરે વરસાદ પડી રહ્યો છે પરંતુ તેમાં પણ અબડાસા વિસ્તાર જાણે મેઘાની નજરમાં ન આવ્યો હોય તેમ હતું, અબડાસા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે તેની વચ્ચે છેલ્લા બે દિવસથી વરસાદના ચાર છાંટા પડ્યાની સાથે જ મોટી સિંધોડી વાડી વિસ્તારમાં બંધ થઈ ગયેલી લાઈટ છેલ્લા 48 કલાકથી પણ વધુ સમય થવા છતાં અહીં લાઈટો શરૂ ન થતા ખાસ કરીને કિસાનો માટે પરિસ્થિતિ ખૂબ કઠિન બની ગઈ છે.
કોઠારા PGVCL ના અધિકારી સમક્ષ કિસાનોનો આક્રોશ…
કિસાનોએ ચોમાસા પાકનું વાવેતર કર્યા બાદ પાણીની સખત જરૂરત રહે છે પરંતુ 48 કલાકથી અહીં વીજ પ્રવાહ બંધ રહેતા વાવણી થયેલા પાકને પાણી આપવું મુશ્કેલ થઈ ગયું છે આ બાબતે આ વિસ્તારના કિસાનો અને ગામના સરપંચ ગોપાલભાઈ ગઢવી, નારાણભાઈ ભાન, દેવરાજભાઈ ગઢવી, પાલુ ખેરાજ ગઢવી, વાલજી માનસિંગ ગઢવી, ચંદ્રસિંહ કરસન ગઢવી, તથા હિતેશ ગોપાલ ગઢવી વગેરે દ્વારા કોઠારા ખાતે PGVCL ના નાયબ એન્જિનિયર સમક્ષ રજૂઆત કરાઈ હતી. જેમાં આ વિસ્તારમાં 48 કલાકથી બંધ પડેલ લાઈટો ચાલુ કરવા અને આ વિસ્તારના જવાબદાર કર્મચારી લાઈનમેન સામે સતત અરજદારો ફોન કરતા હોવા છતાં ફોન ઉપાડતા ન હોવાની રજૂઆત કરાઈ હતી. અહીં લાઈટની લગતી મુશ્કેલીના નિવારણ માટે સતત સ્થાનિક કિસાનો પણ PGVCL ના કર્મચારીઓ સાથે ખભે ખભા મિલાવી કામોમાં મદદરૂપ થતા હોય છે છતાં પણ આ વિસ્તારના કિસાનોની અવગણના કરાય છે તે વ્યાજબી નથી. ગામના સરપંચ શ્રી ગોપાલભાઈ ગઢવીએ પણ પોતાની સખત નારાજગી વ્યક્ત કરતા PGVCL ના અધિકારીઓ સકારાત્મક અભિગમ અપનાવે તેવી લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે 48 કલાકથી બંધ પૂરતા પ્રમાણમાં વીજ પ્રવાહ ચાલુ નહીં થાય તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે. નોંધનીય છે કે આ વખતે ચોમાસા પૂર્વે પૂર્વ તૈયારીરૂપે કરવાની થતી કામગીરીમાં PGVCL સંપૂર્ણ ફેલ ગયેલ છે જેના કારણે સમગ્ર કચ્છમાં આ સમસ્યા ઊભી થઈ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334