માંડવી તાલુકાના નાગલપુર ગામે સ્થિત આર્ય ઇન્ડસ્ટ્રીઝમાં આજે બપોરે લગભગ એક વાગ્યાના સમયે અચાનક આગ લાગી હતી. અચાનક ધુમાડો ઉઠતાં જ ફેક્ટરી સ્ટાફમાં ભાગદોડ મચી ગઇ હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ઘટનાની જાણ થતાં જ માંડવી નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવા માટે તત્કાલ કામગીરી શરૂ કરી હતી. ભારે ધુમાડો અને ઊંચા તાપમાન વચ્ચે ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. ઘટનાના સમયે ફેક્ટરીમાં હાજર તમામ કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી ઇજા થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે ભેગા થયા હતા તથા આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર બ્રિગેડને સહયોગ આપ્યો હતો. આગથી ફેક્ટરીના કેટલાંક ભાગને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે, પરંતુ નુકસાનનું સાચું મૂલ્યાંકન હજી બાકી છે. આ ઘટનાને લઈને સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી કે કોઈ અન્ય કારણ જવાબદાર છે. ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિક લોકોએ અવલોકન કર્યું છે.
અહેવાલ : સુનીલ મોતા માંડવી
પ્રકાશિત : નિતેશ ગોર ભૂજ
