કચ્છમાં ચકચારી હની ટ્રેપ અને ચાર કરોડની ખંડણી માંગીને આહીર યુવાનને આત્મહત્યા કરવા મજબૂર કરાયાની ઘટનામાં ગઈકાલે ભુજની પાલારા જેલમાંથી કબ્જો લઈને ધરપકડ કરાયેલ મનીષા ગૌસ્વામીને આજે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવતા અદાલતે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જ ચકચારી હની ટ્રેપ મામલામાં મનીષાની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે જેમાં હવે વધુ કેટલાક ઘટસ્ફોટ થવાની પોલીસને આશા છે. નોંધનીય છે કે દિલીપ આહીર નામના આત્મહત્યા કરી લેનાર યુવાનને હની ટ્રેપમાં ફસાવવા માટે અમદાવાદથી દિવ્યા નામની એક યુવતીને બોલાવાઈ હતી જેને પાલારા જેલમાં બંધ મનીષા સતત દોરી સંચાર કરતી રહી હતી તેવી કબુલાત પકડાયેલ દિવ્યા ચૌહાણએ કરી છે અને મનીષાના દોરી સંચાર પ્રમાણે મૃતક દિલીપ આહીરને કઈ રીતે ફસાવવું અને તેની પાસેથી કઈ રીતે નાણા પડાવવા એ તમામ બાબતોથી મનીષાએ દિવ્યાને તૈયાર કરી હતી, હવે જ્યારે મનીષા ગોસ્વામીની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે આ પ્રકરણમાં મનીષાની ભૂમિકા સાથે જેલમાં બંધ અને કોઈ તેના સાગરીતો કે જેલની બહાર મનીષાનો વહીવટ સંભાળનારા કોણ કોણ હતા હતા અને હાલ કોણ કોણ છે તે વિગતો ખુલવાની શક્યતા જોવાય છે. એ પણ નોંધનીય છે કે આ પ્રકરણમાં મનીષાના પતિ ગુજ્જુ ગીરીની પણ ભુંડી ભૂમિકા સાથે અંજારના બે વકીલ સહિત અત્યાર સુધી 13 આરોપીઓ સામે ગુનો નોંધાય ચૂક્યો છે એ પૈકી હજુ પાંચ આરોપીઓ પોલીસ પકડથી બહાર છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334