(વિકાસની કેડી કંડારી કચ્છ વિશ્વ નોંધનીય બનશે- રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડ)
(૪ લાખ લીટર દૂધના પ્રતિદિન વિવિધ ઉત્પાદનોથી
સ્થાનિક રોજગારીથી સંકળાયેલા તમામ આત્મનિર્ભર)
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધોરડો ખાતેથી આજરોજ અંજારના ચાંદરાણી ખાતે રૂ.૧૨૯.૨૨ કરોડના ખર્ચે ૨ L.L.P.D ક્ષમતાના ૪ L.L.P.D સુધીની ક્ષમતા વધારતા સ્વયંસંચાલિત દૂધ પ્રોસેસીંગ અને પેકેજીંગ પ્લાન્ટનો વિડીયોકોન્ફરન્સથી વરર્ચ્યુલ શિલાન્યાસ કર્યો હતો. આ તકે વડાપ્રધાને કચ્છના ડેરી ઉધોગની રોજગારીની ઉજળી જણાવી કચ્છી બન્ની ભેંસની ગુણવતા જણાવતાં વર્ષ ૨૦૧૦માં બન્નીને રાષ્ટ્રીય ભેંસની માન્યતા અંગે સૌને માહિતગાર કર્યા હતા. ચાંદરાણી ખાતે આ પ્રોજેકટના ભૂમિપૂજન કરતા ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, વિકાસની કેડી કંડારી કચ્છ વિશ્વ નોંધનીય બનશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪ માં મુખ્યમંત્રી હતા ત્યારે રૂ.૮.૩૭ કરોડની સહાયથી ૨ લાખ લિટરના પ્રોસેસીંગ ક્ષમતાના ડેરી પ્લાન્ટ સાકાર કર્યો હતો. હવે આ ૪ લાખ લિટરના નવા ડેરી પ્લાન્ટથી પ્રતિદિન વધુ ૨ લાખ લિટર દૂધનું પ્રોસેસીંગ કામથી સ્થાનિકોને રોજગારીની તકો ઉભી થશે. વધુ પશુધન ધરાવતા આ જિલ્લાને કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ સહાયોથી ૨૦૨૧ સુધી ડેરી ઉધોગથી પશુપાલન વધુ સમૃધ્ધ બનશે. સાત પગલાં ખેડૂત કલ્યાણના સરકારી યોજનામાં પશુપાલકો અને પશુપાલક મહિલાઓ માટે ઉત્તમ અને સમૃધ્ધ કરનારી યોજનાઓ છે. આગામી દિવસોમાં ડેરી અને પશુપાલન માટે સુવર્ણ દિવસો છે. રાજયમંત્રીશ્રીએ ચાંદરાણી ખાતે સરહદ ડેરીના કેટલફીડ પ્લાન્ટ (ખાણદાણ પ્લાન્ટ) પણ જાત મુલાકાત લીધી હતી અને તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ અનુભવને પણ તેમણે સૌ સમક્ષ રજુ કર્યો હતો. રાજય રજીસ્ટ્રારશ્રી ડી.પી.દેસાઇએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે પ્રતિદિન સરહદ ડેરી પ લાખ લીટર દૂધ એકત્ર કરી વિવિધરૂપે સમગ્ર દેશમાં પહોંચાડે છે. અમુલના માધ્યમથી કચ્છના ઊંટના દૂધમાં બનેલી કેડબરી ચોકલેટ પણ આગવી સિધ્ધિ છે. સરહદ ડેરી દ્વારા કચ્છમાં શ્વેતક્રાંતિ થઇ રહી છે. દૂધ ઉત્પાદક રાજય સંઘના એમ.ડી. ડો.આર.એસ. સોઢીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ ભારતમાં રોજગારીમાં પશુપાલન સર્વશ્રેષ્ઠ છે. કાર્યરત થનાર નવા પ્લાન્ટથી કચ્છના ૨૪ હજાર પરિવારોને રોજગારી મળશે. આવનારા સમયમાં દેશમાં પશુપાલન, ડેરી ઉધોગથી રોજગારીની ઉજળી તકો છે. ભારતમાં ૭૨ લાખ અને રાજયમાં ૧૦ લાખ પરિવારોને આવનારા દિવસોમાં આ વ્યવસાયથી સ્થાનિક રોજગારી મળશે. પશુપાલન વિભાગના નિયામક ડો.ફાલ્ગુનીબેન ઠાકરે આ તકે જણાવ્યું હતું કે, જયાં માણસો કરતાં પશુધન વધારે છે તેવા કચ્છમાં બન્ની ભેંસ અને ખારાઇ ઊંટના અને પશુપાલન અને ડેરીના ઉધોગના પગલે શ્વેતક્રાંતિ આવી છે. કચ્છી ઊંટના દૂધના વિવિધ ઉત્પાદનોના ભારતના સર્વપ્રથમ ઊંટ દૂધ પ્રોસેસીંગ પ્લાન્ટથી ૫૦૦ ઊંટ પરિવારો પાસેથી પ્રતિદિન ૨ હજાર લિટર વેચાણથી નોંધનીય રોજગારી ઉભી થઇ છે. કચ્છી કુરિયનના હુલામણા નામથી લોકપ્રિય અમૂલના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલની દુરદર્શિતાથી સરહદ અને છેવાડાનો જિલ્લો ડેરી ક્ષેત્રે વિકસિત બન્યો છે. આ કાર્યક્રમમાં સર્વશ્રી અમુલના વાઇસ ચેરમેન અને સરહદ ડેરી ચેરમેન વલ્લમજી હુંબલ, અંજાર તાલુકા પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, અને સરહદ ડેરીના વાઇસ ચેરમેન હસમુખભાઇ પટેલ, સાવજ ડેરી જુનાગઢના ચેરમેનશ્રી રામશીભાઇ ભટારીયા, અંજાર નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ પલણ, ચાંદરાણી સરપંચ ધનજીભાઇ હુંબલ, ઉધોગપતિશ્રી બાબુભાઇ હુંબલ, ત્રિકમભાઇ આહિર, અરજણભાઇ કાનગડ તેમજ અગ્રણી સર્વશ્રી શંભુભાઇ મ્યાત્રા, ભરતભાઇ શાહ, દેવરાજભાઇ ગઢવી, ત્રિકમભાઇ છાંગા, તેજા કાનગડ, ધનજી આહિર, ડેની શાહ, વેલાભાઇ જરૂ, જયોત્સનાબેન, રસિકબા ગઢવી, મનજીભાઇ આહિર, કાનજી શેઠ તેમજ સરહદ ડેરીના કર્મયોગીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
અહેવાલ અંજાર બ્યુરો
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334