કોમી એકતા અને માનવતાનું એક અદ્ભુત અને ભાવુક ઉદાહરણ કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવ્યું છે. ભૂજથી ૮૦ કિ.મી.ના અંતરે અંદરિયાળ રણ વિસ્તાર વજીરાવાંઢ (તા.નખત્રાણા)માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા હતા.
સો ટકા જાત-મુસ્લિમ વસ્તી ધરાવતા વજીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબેહેને કહ્યું કે, જ્યારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪માં આવી ત્યારે મને લાગતું હતું કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવારજનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડ્યા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જબ્બારભાઈ જત, ગ્રુપ આચાર્યા ફાલ્ગુનીબેન ભાનુશાલી, સીઆરસી ગોહિલભાઈ, ગામના અગ્રણીઓ ઈસ્માઈલ નાથા જત, અબ્દુલ કરીમ હાજી સુલેમાન જત, આદમભાઈ જત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રકાશિત નીતેશ ગોર ભુજ
