(મોટી સિંધોડી) વરસાદ ખેંચાતા પશુઓ માટે ઘાસચારાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌધનની જાળવણી મોટો પડકાર બની છે. આવા કપરા સમયમાં મૂળ મોટી સિંધોડી ગામના વતની અને હાલ લાયજા ગામને કર્મભૂમિ બનાવનાર પૂજ્ય કમશ્રી માતાજીએ મોટી સિંધોડી ગૌશાળાને રૂપિયા 2 લાખનું માતબર અનુદાન આપી ગૌસેવામાં અનોખું યોગદાન આપ્યું છે. ગામના ગૌધનને બચાવવા માટે આપવામાં આવેલા આ સહયોગને ગામલોકોએ જન્મભૂમિ પ્રત્યેની અનન્ય લાગણી અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે.

વિકટ પરિસ્થિતિમાં મળેલી આ સહાયથી ગૌશાળાને મોટી રાહત મળી છે. પૂજ્ય કમશ્રી માતાજી જાણીતા આરાધી ભજન ગાયિકા છે. તેઓ ખ્યાતનામ ભજનીક કાનજીભાઈ ગઢવીના સુપુત્રી છે અને સંગીત વિશારદ તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે. આજના સમયમાં ઘણા કલાકારો પોતાની કલાને વ્યાવસાયિક બનાવી ચૂક્યા છે, ત્યારે પૂજ્ય કમશ્રી માતાજીએ પોતાના સંગીત અને ભજન સેવાને ક્યારેય વ્યાપારનું સ્વરૂપ આપ્યું નથી. તેઓ વર્ષોથી ભક્તિ અને સમાજસેવાના કાર્ય સાથે જોડાયેલા છે. પોતાની જન્મભૂમિ મોટી સિંધોડી ગામની ગૌશાળા અને ગૌધનને બચાવવા માટે રૂપિયા 2 લાખનું અનુદાન આપી તેમણે જન્મભૂમિ પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે મોમાયા પરબત ગઢવી, વાલજી માણક સંગડિયા, વાલજી માનસી ગઢવી, મેઘરાજ મુરજી ગઢવી, મોહનભાઈ શામરાણી, જખૂ કલ્યાણ ગઢવી, અનિલ કાનજી ગઢવી સહિત ગામના આગેવાનો અને ગ્રામજનોએ પૂજ્ય કમશ્રી માતાજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
