કચ્છમાં ગણેશ ચતુર્થીના આગમન પૂર્વે શ્રી અખિલ કચ્છી રાજ્યગોર મહિલા મંડળ અને શ્રી પ્રેરણા મહિલા મંડળ દ્વારા બહેનો માટે નિઃશુલ્ક ગણપતિ દાદાની મૂર્તિ બનાવવાનો સુંદર વર્કશોપ યોજાયો હતો. કચ્છ જિલ્લાના 15 થી 50 વર્ષની વયજૂથની બહેનો માટે આયોજિત આ વર્કશોપમાં સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગણપતિ દાદાનું આગમન થવાને એક દિવસ પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય તેમજ આસ્થા સાથે તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધે તેવો હતો. સાથે જ માતાઓને ઘરકામમાંથી થોડો સમય કાઢીને બાળકો સાથે મળીને ગણપતિ દાદાની મૂર્તિ બનાવવાનો આનંદ મળે તેવા શુભ આશયથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી અખિલ કચ્છ રાજગોર મહિલા મંડળનાં પ્રમુખ કૃપાબેન નાકર અને શ્રી પ્રેરણા મહિલા મંડળનાં પ્રમુખ વંદનાબેન ભાવસારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ગીતાબેન, વૈશાલીબેન, રાધિકાબેન, હીનાબેન, અંજનાબેન અને કામિનીબેન સહિતની સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ વર્કશોપને સુંદર રીતે પરિપૂર્ણ કરવામાં અંજાર તાલુકાનાં ચાંદનીબેનનું વિશેષ યોગદાન રહ્યું હતું. ચાંદનીબેન છેલ્લા 16 વર્ષથી ગણપતિ મૂર્તિ બનાવવાની સેવા સાથે જોડાયેલા છે અને અત્યાર સુધીમાં 150થી વધુ ગણપતિ દાદાની મૂર્તિઓનું દાન કરી ચૂક્યા છે. ચાંદનીબેન સાથે જોડાયેલી એક રસપ્રદ આસ્થાની વાત પણ કાર્યક્રમ દરમિયાન ચર્ચાનો વિષય બની હતી. તેમના જણાવ્યા મુજબ, જ્યાં સુધી તેમના ઘરે ગણપતિ દાદાની છેલ્લી મૂર્તિ લેવા માટે કોઈ ભક્ત ન આવે ત્યાં સુધી ભગવાન ગણપતિનું વાહન ગણાતો મૂષક એટલે કે ઉંદર તેમના ઘરે જોવા મળે છે. તમામ ગણપતિ ભક્તો મૂર્તિઓ લઈ ગયા બાદ આ મૂષક પણ ઘરમાંથી ગાયબ થઈ જાય છે, જેને તેઓ ભગવાન ગણપતિ પ્રત્યેની પોતાની આસ્થાનું પ્રતીક માને છે. આ સમગ્ર આયોજનથી બહેનો અને બાળકોમાં સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ દ્વારા
