વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બને છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન માટે અંબાજી પહોંચે છે. જોકે પાલનપુરથી અંબાજી જતો મુખ્ય માર્ગ આજે પણ અનેક સ્થળોએ સાંકડો હોવાથી યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ વર્ષોથી આ માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. માર્ગની બંને બાજુ સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર ન થતાં રસ્તો અનેક સ્થળોએ સિંગલ પટ્ટી જેવો બની ગયો છે. ખાસ કરીને વિરબાઈ ગેટથી જનતાનગર સુધીના જાહેર માર્ગ પર થયેલા દબાણોના કારણે રસ્તો દિવસેને દિવસે વધુ સાંકડો બનતો જઈ રહ્યો હોવાનું લોકોનું કહેવું છે. વાહનોની સતત વધતી અવરજવર વચ્ચે આ સાંકડો માર્ગ અકસ્માતોના જોખમમાં પણ વધારો કરી રહ્યો છે. ભારે વાહનો અને યાત્રાળુઓના વાહનો સામસામે આવી જતા ટ્રાફિક જામ અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાય છે. ધાર્મિક સિઝનમાં તો સ્થિતિ વધુ ગંભીર બનતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

શહેરના જાગૃત નાગરિકો અને યાત્રાળુઓએ જિલ્લા તંત્રનું ધ્યાન દોરતાં માંગ કરી છે કે પાલનપુરથી અંબાજી માર્ગ પર થયેલા તમામ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે અને જાહેર હિત તેમજ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગને યુદ્ધના ધોરણે પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે. લોકોનું માનવું છે કે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સુધીનો મુખ્ય માર્ગ સુવિધાસભર અને સુરક્ષિત હોવો સમયની માંગ છે. હવે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગો વહેલી તકે અસરકારક કાર્યવાહી કરીને યાત્રાળુઓને રાહત આપે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.
અહેવાલ પ્રતિનિધિ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા…
