બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વેપારી મથક છાપી હાઇવે પર કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા પુલના બાંધકામમાં ગંભીર બેદરકારી સામે આવી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. વરસાદી પાણી પુલની દીવાલની અંદરથી બહાર આવતું જોવા મળતાં પુલની મજબૂતાઈ અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી પાણી દીવાલની અંદરથી વહેતું જોવા મળતાં બાંધકામની ગુણવત્તા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો ભવિષ્યમાં પુલની સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં કોન્ટ્રાક્ટર તેમજ બનાસકાંઠા આર એન્ડ બી (સ્ટેટ) વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાગૃત નાગરિકોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. સ્થાનિકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર સ્થળ પર તાત્કાલિક મુલાકાત લઈને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવે તેમજ પુલના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અથવા સંબંધિત વિભાગની જે કોઈ બેદરકારી સામે આવે તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ આ મુદ્દે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. તપાસ બાદ જ હકીકત અને જવાબદારી સ્પષ્ટ થશે.
(અહેવાલ પ્રતિનિધિ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા)
પ્રકાશિત નીતેશ ગોર ભુજ
