પાણીએ પૃથ્વી પરના કોઈપણ જીવ માટે અમૃત છે. પાણી વિના જીવન શક્ય નથી. આપણે ત્યાં એમ કહેવાય છે કે “ જો પાણી જાય એળે તો દૂ:ખ આવે આપમેળે “ કુદરત વરસાદના રૂપે પાણી જ્યારે પાણી મોકલે છે ત્યારે એ પાણી જો રોકી લેવામાં આવે તો આપણી પાણીની સમસ્યા હલ થાય. જો વરસાદનું પાણી આપણી નજર સામે દરિયામાં વહી જાય તો એ પાણી નહીં પણ આપણાં જીવનનો એક ભાગ વહી જાય છે. પાણીને માણસ વગર કઈ ફરક પડતો નથી પણ માણસ કે કોઈપણ જીવસૃષ્ટિને પાણી વગર ટકવું અશક્ય છે. પાણી માટે જેની પાસે ફરિયાદ સિવાયના રસ્તા હોય તે ક્યારેય દૂ:ખી ન થાય. પાણીએ વૈશ્વિક સમસ્યા છે,પણ તેનો ઉપાય તો સ્થાનિક જ છે, કે તમારી પાસે જે પાણી પડે તેને પકડી રાખો. આ સરળ ઉપાય એ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. જ્યારે અનરાધાર વરસાદ આવે ત્યારે આ કરેલી કામગીરી અતિ ઉપયોગી સાબિત થાય છે. છેલ્લા બે વર્ષથી કચ્છ પર કુદરતે ખૂબ મહેરબાની કરી છે. ત્યારે પાણીના સંગ્રહની જ્યાં પણ કામગીરી થઈ ત્યાં ખૂબ સારા પરિણામ મળ્યા છે. છેલ્લા બે વર્ષમાં અદાણી ફાઉન્ડેશન મુંદરા દ્વારા વરસાદી પાણીના સંગ્રહની કામગીરીના ખૂબ સારા પરિણામો મળ્યા છે. જેમાં લોકભાગીદારીથી ભૂગર્ભ જળમાં વધારો કરવા લોકોને સાથે રાખી તેના કૂવા કે બોરવેલને રિચાર્જ કરી સામૂહિક પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ કામગીરી મુંદરા તાલુકાનાં ગામો જેવા કે ઝરપરા, ધ્રબ, સિરાચા, મોટા કાંડાગરા, દેશલપર, નાની-મોટીભુજપુર, બારોઈ, લૂણી, સમાઘોઘા, નવીનાળ, નાના-મોટાકપાયા, બોરાણા, મંગરા અને મોટાભાડિયા ગામોનો સમાવેશ કરવામાં આવેલ.
આ ગામોમાં કુલ ૧૮ નવા ચેકડેમથી ૧૭.૮૨ મીટર ક્યુબિક ફૂટ પાણી સંગ્રહથી ૬૩૭ હેક્ટર જમીનને લાભ મળે છે. ૩ ચેકડેમનું રિપેરિંગ કરી ૨.૬૭ મીટર ક્યુબિક ફૂટ પાણી સંગ્રહથી ૪૨ હેક્ટર જમીન, સુઝ્લામ સુફલામ જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત ૫૨ ( બાવન ) તળાવોની સંગ્રહક્ષમતામાં ૮૫.૯૫ મીટર વધારો કરી ૨૨૦ હેક્ટર જમીનને તેનો લાભ મળેલ. જ્યારે વ્યક્તિગત ૧૦૬ ખેડૂતોના ૭૫ બોરવેલ અને ૩૧ કૂવાઓના રિચાર્જ કરી કરોડો લિટર પાણી રિચાર્જ કરવામાં આવેલ. આમ કુલ ૧૦૬.૪૪ મીટર ક્યુબિક ફૂટ પાણી રિચાર્જ કરી અંદાજિત ૧૪૨૯ હેક્ટર જમીનને આ લાભ મળેલ છે. આ બધાજ ચેકડેમ,તળાવો,કૂવા વગેરે બે થી ત્રણવાર ભરાઈને રિચાર્જ થયેલ આથી કેટલું પાણી ભૂગર્ભમાં ભળ્યું હશે તે સમજી શકાય તેવી બાબત છે. તેમાં પણ આ વર્ષે આ બધા જ બાંધકામો સહી સલામત છે અને છેલ્લા એક માસથી વરસાદી પાણીને જમીનમાં ઉતારી રહ્યા છે. મોટા ભાડિયાના ખેડૂત અને સરપંચશ્રી નાગશીભાઈ જણાવે છે કે પાણી રોકવાને કારણે ૧૨૫ થી ૧૪૦ વાડીઓના બોરના પાણીના લેવલ ૨૫ થી ૬૫ ફૂટ જેટલું ઉપર આવ્યું છે અને ગુણવત્તામાં ૮૦૦ થી ૧૭૦૦ ટી. ડી. એસ.નો ઘટાડો થયો છે. આ અભિયાનને હવે ખેડૂતોએ જાતે ઉપાડી લીધું છે. કોઇની રાહ જોયા વિના પાણી સંગ્રહના ફાયદા જોઈને પોતાના ખેતર,વાડીનું પાણી કૂવા અને બોરવેલમાં ઉતારવા લાગ્યા છે. મંગરા ગામના ઉપસરપંચ ચંદ્રસિંહ જાડેજા એ ભૂખી નદીના ચેકડેમની વાત કરતાં જણાવ્યુ કે અતિ વરસાદ પડે તો જ આ નદીમાં પાણી આવે આ ચેકડેમના વિસ્તારમાં ૨૫ થી૩૦ ફૂટ રેતીનો થર છે જે ખૂબ પાણી ઉતારે છે આના કારણે ૨૦૦ જેટલી વાડીઓના બોરના પાણીના તળ ઊંચા આવ્યા,અમારા માટે તો આ આશીર્વાદરૂપ છે. આ ઉપરાંત જે વિસ્તારમાં ભૂગર્ભ જળ પીવાલાયક ન હતું તે વિસ્તારના ૫૪ જેટલા પરિવારોને ૧૦૦૦૦ લિટરની સંગ્રહક્ષમતા વાળા પાકા ટાંકા બનાવી આપવામાં આવેલ. જેના દ્વારા એક પરિવારને દરરોજ ૨૫ લિટર પાણી પીવા માટે અને રસોઈ માટે મળી રહે છે.
ઝરપરા ના પાલુભાઈનું કહેવું છે કે આર. ઓ. પ્લાંટનું પાણી પૈસા આપીને લાવતા હવે તો આ વરસાદી પાણી પીવા મળે છે. તેમણે પાણીને લગતી બીમારીમાં મોટી રાહત મળી છે. અને પાણી મેળવવા માટે સમય અને નાણાં બંનેની બચત થઈ. આ સંગ્રહ કરવામાં આવેલ પાણીનો વ્યાજબી અને કાર્યક્ષમ ઉપયોગ થાય, જમીન બગડતી અટકે અને મજૂરી ખર્ચ ઘટે તે માટે આ વિસ્તારના ૮૨૩ ખેડૂતોની વાડીમાં વિવિધ પાકોમાં સરકારશ્રી સાથે રહીને ખેડૂતોને વધારે પ્રોત્સાહિત કરવા ટપક સિંચાઇ માટે હેક્ટર દીઠ રૂપિયા ૨૦૦૦૦/- સીધા ખેડૂતોને આપીને ૧૯૫૮ હેક્ટરમાં ટપક સિંચાઇ પધ્ધતિથી પાકને પાણી આપવા ખેડૂતોને મદદ કરવામાં આવેલ. આમ પાણી સંગ્રહ સાથે તેનું વ્યવસ્થાપન કરી પાણી બાબતે કામગીરી કરવામાં આવેલ. આ કામગીરીના ફળ ખેડૂતોને લાંબા સમય સુધી મળતા રહેશે.
આ કામગીરી માટે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન આદરણીય ડો. પ્રીતિબેન અદાણીની પ્રેરણા અને પીઠબળ, ડાયરેક્ટર શ્રી વી. એસ. ગઢવીસાહેબનું માર્ગદર્શન તેમજ એ.પી.એસ.ઇ.ઝેડ. ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર શ્રી રક્ષિતભાઈ શાહની હૂંફ અને યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહ અને સમગ્ર ટીમની સતત દેખરેખથી પાણી સંગ્રહની કામગીરી થઈ અને હજુ પણ સતત ચાલતી જ રહે છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334