કચ્છના ભુજ શહેરમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો પવિત્ર તહેવાર ધાર્મિક ઉત્સાહ, શાંતિ અને ભાઈચારાના માહોલમાં ઉજવાયો હતો. ભુજની મુખ્ય ઈદગાહ ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઈદની નમાઝ અદા કરી હતી. નવા વસ્ત્રોમાં સજ્જ નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકમાં તહેવારની ખુશી અને આધ્યાત્મિક ભાવના જોવા મળી હતી. ઈદગાહ પર નમાઝ બાદ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” પાઠવતા સૌએ પ્રેમ, એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. કચ્છ હંમેશાંથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે જે આ તહેવારે પણ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની સુંદર મિસાલ સમગ્ર સમાજ સમક્ષ રજૂ થઈ હતી. લોકોમાં એવો ભાવ જોવા મળ્યો કે જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી કચ્છનું નામ કોમી એકતાના ઉદાહરણ તરીકે લેવાતું રહેશે. ઈદ-ઉલ-અઝહા દરમિયાન કુર્બાનીની પરંપરા નિભાવવામાં આવશે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં દાન, ખેરાત અને ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવશે. તહેવારના આ અવસરે સમાજમાં સેવા, સહાનુભૂતિ અને માનવતાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે.
ઈદની નમાઝ બાદ મુસ્લિમ આગેવાનો કચ્છ જિલ્લા, ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશમાં શાંતિ, સલામતી અને પ્રગતિ માટે નમાજ અદા કરી ખાસ દુઆ કરી હતી. સાથે જ હિન્દુ-મુસ્લિમ એકતા સદાય અખંડિત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ અવસરે કચ્છના તમામ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને ઈદ-ઉલ-અઝહાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અહેવાલ : અયાઝ સિધ્ધિકી ભુજ
પ્રકાશિત : નિતેશ ગોર ભુજ
