(જવાબદારને સજા કરાશે : હોસ્પિટલમાં દર્દીની સુખાકારી માટે રાષ્ટ્રીય એક્રે. બોર્ડ ઓફ હોસ્પિ.ના નિયમોનો અમલ પ્રગતિમાં)
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં મૃત બાળક બદલાઈ જવાની ઘટના દૂ;ખદ છે. અને એ અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમજ જે કોઈપણ જવાબદાર હશે તેની સામે ન માત્ર દંડનાત્મક પગલાં પરંતુ, ફરજ મોકૂફી પણ કરાશે. એમ ગેઇમ્સના ડાયરેક્ટર બાલાજી પિલ્લઈએ જણાવ્યુ હતું. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આ ઘટના માનવીય ધોરણે અત્યંત માનસિક આઘાત સમાન છે. જેમાં વાલીઓની લાગણીઓ જોડાયેલી છે. તેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે કડક સૂચના દરેક ડિપાર્ટમેંટને આપી દેવામાં આવી છે. અને આ કિસ્સામાં ઊંડાણપૂર્વક ખાતાકીય તપાસ કરવામાં આવશે. ડો. બાલાજી પિલ્લાઈએ કહ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી અને સલામતી માટે તબક્કાવાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે હોસ્પિટલમાં રાષ્ટ્રીય એક્રીડિશન બોર્ડ ઓફ હોસ્પિટલ(NABH)ના નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. અને તે અંગેની કાર્યવાહીની ઝડપમાં ગતિ લાવવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP)ના ધારાધોરણ પણ ચુસ્તપણે અમલમાં મૂકી હોસ્પિટલના દરેક વિભાગ સુચારુરુપે ચલાવવા તેમજ નેશનલ ક્ક્ષાએ અમલમાં મુકાયેલી NABH પધ્ધતિને પણ લાવી દર્દીના આરોગ્ય માટે નવી દિશા ખુલશે એમ તેમણે વધુમાં કહ્યું હતું.
પ્રકાશિત – નિતેશ ગોર : 9825842334