◆ ૨૧ જેટલા કૂવાઓ તથા બોરવેલ રિચાર્જની કામગીરી પૂર્ણ કરવામાં આવી…
◆ ૧૧ કૂવા-બોરવેલની કામગીરી પ્રગતિમાં…
◆ ચોમાસા પહેલા કુલ ૬૦ કૂવા-બોરવેલ રિચાર્જ કરવાનું લક્ષ્યાંક રાખવામા આવેલ છે…
અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તથા આસપાસના ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની કામગીરી કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત કુવાઓ અને બોરવેલ રિચાર્જની કામગીરી પૂર્ણતાના આરે છે. ચોમાસામાં વરસાદનું પાણી જ્યારે નજર સામે દરિયામાં વહી જાય છે, ત્યારે તેને રોકી ન શકવાનો વસવસો મનમાં રહી જાય છે. કારણ કે પાણીને માણસ વિના કશો ફરક પડતો નથી, પણ માણસ કે તમામ જીવોને પાણી વગર જીવવું અશક્ય બની જાય છે. “પાણી પહેલા બાંધો પાળ, તો નડશે નહીં દુષ્કાળ“ આ સૂત્રને સાર્થક કરવા છેલ્લા વર્ષોથી અદાણી ફાઉન્ડેશન – મુંદરા દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખીને પ્રયત્નો કરવામાં આવે છે. આ વર્ષે પણ છેલ્લા વીસ દિવસથી સિરાચા, નવીનાળ, દેશલપર અને ઝરપરા તમામ ગામના સરપંચશ્રીઓ તથા ગ્રામ પંચાયત સભ્યો અને આગેવાનોના સહયોગ વાડી વિસ્તારમાં વ્યક્તિગત ખેડૂતોની ભાગીદારીથી ૨૧ જેટલા કૂવાઓ તથા બોરવેલ રિચાર્જની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ૧૧ કૂવા-બોરવેલની કામગીરી પ્રગતિમાં છે. આ વર્ષે ચોમાસા પહેલા કુલ ૬૦ કૂવા-બોરવેલ રિચાર્જ કરવાનું લક્ષ્યાંક રાખવામા આવેલ છે. એક પડતર કૂવો કે બોરવેલમાં જો વરસાદનું પાણી ઉતારવામાં આવે તો એક ચેકડેમ જેટલું પાણી ભૂગર્ભમાં જાય છે. સ્થાનિકે નટુભા ચૌહાણ (સરપંચ) જોરૂભા, હરદાસભાઇ ગઢવી, સામરાભાઈ ગઢવી (સરપંચ) માણશીભાઈ ગઢવી, પાલુભાઈ ગઢવી, નારણભાઇ જોશી વગેરે જાગૃતતા લાવવામાં મહેનત કરી રહ્યા છે. આ સમયસરના પગલાને ગ્રામજનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અદાણી ફાઉન્ડેશનના કાર્યકરો અને આગેવાનો સાથે મળી ખેડૂતની વાડીની રૂબરૂ મુલાકાત લઈ ઇજનેર દ્વારા તાંત્રિક માર્ગદર્શન મેળવી કામ શરૂ કરવામાં આવે છે. આ માટે ખેડૂત પોતે પાણીની આવાની જગ્યાથી કૂવા કે બોરવેલ સુધી જરૂરી કેનાલ ખોદવાની અને પાઇપ નખાઈ ગયા બાદ પૂરતી કરવાનું કામ જાતે ખેડૂતો કરી રહ્યા છે. સ્થાનિક લોકો જ્યારે સ્વયંભૂ જોડાઈ જાય ત્યારે કામ જીવંત બની જાય છે. “હી કામગીરી બોરી લાટ આય, હેડા જ કમ કચ્છ કે ખપેતા“ આવા સૂર ખેડૂતોના મોઢે સાંભળીને કામનો થાક ઉતરી જાય છે. APSEZના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે પ્રોત્સાહન આપતા કહ્યું કે “ખેતી માટે પાતાળ જીવંત રાખવા વરસાદી પાણી સંગ્રહ સિવાય કોઈ હાથવગો ઉપાય નથી.” અદાણી ફાઉન્ડેશનના ડાઇરેક્ટરશ્રી વી.એસ. ગઢવી સાહેબે જણાવ્યુ કે “ભાવિ પેઢીને ઉપયોગી કામો જ વધારે ટકાઉ બનશે, સાથે સાથે જાગૃત ખેડૂતોને જોડાવા અપીલ પણ કરવામાં આવી.” યુનિટ સી. એસ. આર. હેડ પંક્તિબેને કહ્યું કે “દુષ્કાળ પડે પણ નડે નહીં તે માટે વરસાદી પાણી રોકીને ભૂગર્ભમાં ઉતારવું ખૂબ જરૂરી છે.” ટકાઉ આજીવિકા કાર્યક્રમના હેડ માવજીભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ સિનિયર પ્રોજેકટ ઓફિસર કરશનભાઇ ગઢવી તથા ઇજનેર શ્રી વિજયભાઈ આ પ્રોજેક્ટ પર કાર્યરત છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334