૧૩’મી ઓક્ટોબર મંગળવારના રોજ અબડાસા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારીના શ્રી ગણેશ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજાના નામાંકન સાથે થયા. કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ભાજપમાં જોડાયા બાદ ફરી એકવાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા ચૂંટણી જંગના મેદાનમાં ઉતરેલા શ્રી જાડેજાના નામાંકન સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો. નલિયાના જંગલેશ્વર મેદાન ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વિજય વિશ્વાસ સંમેલનમાં હજારો કાર્યકરો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે આ તાલુકામાં ભૂતકાળમાં વજનદાર તરીકે ઓળખાતા અને જેમના નામના સિક્કા પડતા હતા એવા કેટલાક સત્તાધારી પાર્ટીના સાથી ગણાતા મને-કમને ઉપસ્થિત જરૂર રહ્યા હતા પરંતુ તેમની માજી હોદ્દાની નોંધ પણ લેવાઇ નહોતી કે તેમની પૂછા કરનારા કોઈ આગળ આવ્યા નહોતા એક સમયે સ્ટેજ પર જેમને સ્થાન અપાતું હતું એવા બત્રીસીના બીજા દાંત નબળા ન પડે તે માટે દૂખતા દાંતને કાઢવાના બદલે સારવાર કરીને સિમેન્ટ ભરાવી ટકાવી રખાય તેમ સત્તાધારી પાર્ટીની બહાર ન રહ્યા છતાં બહારનો રસ્તો બતાવાયા ના સંકેત સાથે સાથે રાખીને એમની ઓકાત રીતસર આ પ્રસંગે બતાવી દેવાઈ હોવાનું ચિત્ર સ્પષ્ટ તરી આવ્યું હતું. આ સમારંભમાં આશ્ચર્ય તો ત્યારે જોવા મળ્યું કે જ્યારે એક સમયના ધુરંધર કહેવાતા આગેવાનની આંગળી પકડીને ચાલનારા સ્ટેજ પર નેતાઓના સન્માન કરતા જોવા મળ્યા હતા આ એવા કાર્યકર હતા જેઓ સ્ટેજની સામે પ્રજાની વચ્ચે ખુરશી પર અદબ વાળીને બેઠેલા એક નેતાની છત્રછાયા થકી આગળ આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને લોકો વચ્ચે અદબ વાળીને બેઠેલા કહેવાતા નેતા ને તેમના પોતાના જ મૂળિયામાં સડો ક્યાંથી લાગ્યો તે ચિત્ર આંખ સામે દેખાવા લાગ્યુ હતું. હવે જ્યારે ભાજપના ઉમેદવાર નો પ્રચાર વિધિવત રીતે શરૂ થઈ ચૂકયો છે ત્યારે આ લોકોની નજરમાં ઉતરી જનારા આ નેતાઓ કેવી ભૂમિકા ભજવશે તેમનો સિક્કો કામ કરશે કે કેમ એ જોવાનું રહ્યું. એ પણ નોંધનીય છે કે સ્ટેજ પર ઉપસ્થિત આગેવાનોના “વલ્લુકડા” થવાના અથાગ પ્રયત્નો કરનારા અને પ્રમુખ નેતાઓની નજરમાંથી ઉતરી ગયેલા સંબંધિત નેતાઓના વજૂદની નોંધ લેવાય છે કે કેમ એ આવનારો સમય બતાવશે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334