વિશ્વભરમાં 14 નવેમ્બરનો દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જ દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે બાળ દિવસનું આયોજન પણ સમગ્ર દેશમાં થાય છે. બે મહત્ત્વના દિવસોની અનોખી સંયુક્ત ઉજવણી અંતર્ગત દેશભરમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. કચ્છના ગાંધીધામમાં પણ સેવાભાવી ઈનર વ્હીલ ઈન્ફિનિટી ક્લબ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગાંધીધામની સાધુ વસવાણી શાળા ખાતે ઈનર વ્હીલ ઈન્ફિનિટી ક્લબ દ્વારા ડાયાબિટીસ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ જનજાગૃતિ કાર્યક્રમમાં લગભગ 200 જેટલા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. ડાયાબિટીસ વિષયની વધતી જતી ગંભીરતા અને બાળકોમાં થતી જીવનશૈલી સંબંધિત બીમારીઓને ધ્યાનમાં રાખીને આ સેમિનાર વિશેષ મહત્વનો બન્યો હતો. આ અવસર પર મુખ્ય વક્તા તરીકે ડૉ. રેનુબેન ચંદનાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડાયાબિટીસ થવાના મુખ્ય કારણો, ખોટી જીવનશૈલી, અયોગ્ય આહાર અને વ્યાયામના અભાવ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાવતાં તેમણે યોગ્ય અને સંતુલિત આહાર કેટલો જરૂરી છે તેની સમજણ આપી હતી. સાથે જ તેમણે રોજિંદા જીવનમાં અપનાવી શકાય તેવી આરોગ્યપ્રદ ટેવો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. સેમિનારમાં બાળકો પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓનું નિવારણ પણ મેળવ્યું હતું. ક્લબ દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન ક્લબના પ્રમુખ હંસાબેન ગ્યાનચંદનાનીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપપ્રમુખ કાશ્મીરાબેન આચાર્ય, સેક્રેટરી માનસી ગુપ્તા, મનમિત કૌર તથા અન્ય સભ્ય સુનિતાબેન ગોર, મીરાબેન કારેલીયા અને સીમાબહેનનો ઉત્સાહભર્યો સહયોગ કાર્યક્રમની સફળતામાં મુખ્ય ભૂમિકામાં રહ્યો હતો. ઈનર વ્હીલ ઈન્ફિનિટી ક્લબની આ પહેલથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી બચવા માટે જરૂરી જાણકારી પ્રાપ્ત થઈ છે. આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિનો પ્રકાશ ફેલાવવાનો ક્લબનો સંકલ્પ પ્રશંસનીય કહેવાય છે.
પ્રકાશિત નિતેશ ગોર ભૂજ
અહેવાલ પ્રતિનિધિ જૈમિનિ ગોર – 9978389139
