ઇભલા શેઠને માર માર્યાના કેસમાં દોષિત ઠરેલ કચ્છના પૂર્વ એસ.પી. કુલદીપ શર્માની ધરપકડ માટે વોરંટ નીકળતા કચ્છમાં ચકચાર…
કચ્છ જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકેની ફરજ દરમિયાન મુસ્લિમ આગેવાન મનાતા ઇભલા શેઠને માર માર્યાના વર્ષો પહેલા 1984ના એક ગુનામાં દોષિત ઠરેલ તત્કાલીન કચ્છના એસ.પી. કુલદીપ શર્માને ભુજની સેશન્સ કોર્ટે ત્રણ મહિનાની સાદી કેદ અને 1000 રૂપિયાનો દંડ સાથે સજા ફટકારી હતી. આ કેસમાં જે તે વખતે ન્યાય પ્રક્રિયાના નિયમો પ્રમાણે કુલદીપ શર્મા દ્વારા વળી અદાલતમાં અપીલ માટે સમય માંગ્યો હતો જેને લઈને અદાલતે નિયમ પ્રમાણે શ્રી શર્માને સમય આપેલો ત્યારબાદ કોર્ટ સમક્ષ સરન્ડર કરવા હુકમ કરેલું પરંતુ કુલદીપ શર્મા નિયત સમય મર્યાદામાં કોર્ટ સમક્ષ સરન્ડર કે જેલ અધિકારી પાસે હાજર ન થતા આખરે ભુજ સેશન કોર્ટએ કુલદીપ શર્માને 15 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવાની નોટિસ સાથે પોલીસને કુલદીપ શર્માની ધરપકડ કરવા વોરંટ ઇસ્યુ કરતા કચ્છભરમાં અને ખાસ કરીને IPS વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે કુલદીપ શર્મા કચ્છમાં એસ.પી. તરીકે ફરજ બજાવતા હતા, એ સમયે કોઈ કેસને લઈ મુસ્લિમ આગેવાન મનાતા ઇભલા શેઠ અને અબડાસાના તત્કાલીન ધારાસભ્ય સ્વર્ગસ્થ ખરાશંકર જોશી બંને જણા કુલદીપ શર્માને રૂબરૂ રજૂઆત કરવા ગયા હતા. તેમની સાથે કોંગ્રેસના કાર્યકર શંકરલાલ જોશી પણ સાથે હતા. આ મુલાકાત દરમિયાન મુસ્લિમ આગેવાન મનાતા ઈભલા શેઠને માર માર્યાની ઘટના બન્યાનો આરોપ કુલદીપ શર્મા પર લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી શંકરલાલ જોશી રહ્યા છે નોંધનીય છે કે મુસ્લિમ આગેવાન મનાતા ઈભલા શેઠ અને તત્કાલીન ધારાસભ્ય ખરાશંકર જોશીના નિધન થઈ ચૂક્યા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
