– ભુજના અલ્પેશ નામના બાળકને આંખમાં ઈજા પછી નેત્રમણિ બેસાડી કર્યું અસાધારણ ઓપરેશન…
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં માત્ર ૭ વર્ષની વયના બાળકની ડાબી આંખમાં ઈજા થવાથી મોતિયો ફાટવાને કારણે કણ કણમાં વેરાઈ જવાથી દ્રષ્ટિ સદંતર લુપ્ત થઈ ગયા બાદ આંખ અને એનેસ્થેટિક વિભાગના તબીબોએ ઓપરેશન કરી બાળકની આંખમાં નેત્રમણિથી બે જ દિવસમાં બાળકની દ્રષ્ટિ પુન: સ્થાપિત કરી દીધી. હોસ્પિટલની આંખ વિભાગના આઈ સ્પેશિયાલિસ્ટ અને એસો.પ્રો. ડો. અતુલ મોડેસરાએ કહ્યું કે, ભુજની જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા અલ્પેશ પી. પરમાર નામના બાળકને કોઈ કારણસર આંખમાં ઈજા થવાથી જી.કે.માં ચકાસણી અર્થે આવ્યા ત્યારે તે બાળકને તપાસ કરતાં જણાયું કે, મોતિયાની પાછળના ભાગનું પ્રવાહી આગળ પ્રસરી ગયું હતું. આવી પરિસ્થિતિમાં ઓપરેશન કરવું જરૂરી લાગતાં બાળકને તાત્કાલિક ઓપરેશન પર લઈ વેરાઈ ગયેલા મોતિયાના કણને દૂર કરી દેવા બાદ નવી નેત્રમણિ બેસાડવામાં આવી. એ સાથે બીજા દિવસથી જ બાળકને દ્રષ્ટિમાં ચેતના આવી ગઈ અને બંને આંખે એ બાળક પૂર્વવત દેખતું થઈ ગયું. તેમણે કહ્યું કે, મોતિયાના ઓપરેશનમાં મોતિયો કાઢવો સહેલો છે. પરંતુ, ઈજાને કારણે અને તેમાય બાળક હોય ત્યારે મોતિયાના ટુકડા થઈ ગયા હોય તેવી પરિસ્થિતીમાં ખૂબ સાવધાની વર્તવી પડે છે. એટ્લે જ આવા ઓપરેશન સામાન્ય રીતે મોટા શહેરોમાં થાય છે. પરંતુ, અહી, જી.કે.માં આ પ્રકારે આવું અસાધારણ ઓપરેશન કરી વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. આ શસ્ત્રક્રિયામાં આંખ વિભાગના નિષ્ણાંત રેસિ. ડો. દિવ્યાંગ પટેલ, કિંજલ પટેલ, ઉપરાંત એનેસ્થેટિક વિભાગના એસો.પ્રો. ડો. જલદીપ પટેલ, રેસિ. ડો. અંકિત સોરઠિયા અને ડો. વૈભવી પટેલ જોડાયા હતા. બાળકને આંખની ઈજાથી બચાવવા શું કરવું..? તબીબોએ બાળકોને આંખની ઈજાથી બચાવવા માટે લેવાની થતી કાળજી અંગે કહ્યું કે, ઈજા થાય એવી રમતોથી દૂર રહેવું જોઈએ. બાળકોએ તેમની વયને યોગ્ય રમકડાંથી રમવું જોઈએ. પ્રોજેકટાઈલ રમકડાથી પણ દૂર રાખવા જોઈએ. બાળકને પેલેટ ગન્સથી રમવા ન દો ઉપરાંત, નાની-મોટી રમતોથી ઈજજા ના થાય તેની સંભાળ રાખવી અને જો નાના બાળકોને કેમિકલ કે સ્પ્રેથી દૂર રાખવા. ઈજા થાય તો તાત્કાલિક તબીબી મદદ મેળવવી.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334