Kutch Kanoon And Crime
IndiaSpecial Story

ડોંબીવલીમાં શ્રી કચ્છી રાજગોર મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસીય ‘ઓખાહરણ’ ધર્મ પારાયણનું આયોજન…

ચૈત્ર માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ સમયમાં ઓખાહરણ વાંચવાનું તથા સાંભળવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર પ્રસંગને ધ્યાનમાં રાખીને શ્રી કચ્છી રાજગોર મહિલા મંડળ ડોંબીવલી દ્વારા ડોંબીવલી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણ દિવસીય ધાર્મિક ઓખાહરણ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિભાવ અને આધ્યાત્મિકતાનો માહોલ સર્જાયો હતો. આ આયોજનમાં મુખ્ય દાતા તરીકે શ્રીમતી વિજ્યાબેન રમેશભાઈ ઊગાણી તથા અલ્પાબેન ઊગાણી પરિવાર દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. તેમના સહયોગથી આ પારાયણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ઓખાહરણ પારાયણના વક્તા તરીકે શ્રીમતી નીલમબેન અંકિતભાઈ મહેતાએ સુંદર અને ભાવભીની રીતે વક્તવ્ય આપ્યું હતું. તેઓ મૂળ કચ્છ જિલ્લાના ગુંદિયાળી ગામના રહેવાસી છે અને હાલમાં બદલાપુર ખાતે નિવાસ કરે છે. પોતાના પ્રવચન દરમિયાન તેમણે હિંદુ સંસ્કૃતિ, પરંપરા, સંસ્કાર અને ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવાના મહત્વ વિશે વિસ્તૃત રીતે સમજાવ્યું હતું. ખાસ કરીને નાની ઉંમરના બાળકોમાં ધાર્મિક સંસ્કારો વિકસે તે માટે પણ તેમને પ્રેરણા આપવામાં આવી હતી. આ પારાયણ દરમિયાન ઓખા અને અનિરુદ્ધના પવિત્ર વિવાહ પ્રસંગને આબેહૂબ રીતે રજૂ કરવામાં આવ્યો હતો, જેને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. આ કાર્યક્રમમાં ઓખાનું પાત્ર કુમારી મનસ્વી માલતી સૂર્યકાંત જોશી દ્વારા અને અનિરુદ્ધનું પાત્ર કુમારી મયુરી ખીમજી માકાણી દ્વારા ખૂબ જ સુંદર રીતે અભિનય કરીને રજૂ કરવામાં આવ્યું હતું. બંનેએ અભિનય દ્વારા વિવાહ વિધિને જીવંત બનાવી હાજર સૌને લગ્ન પ્રસંગનો આધ્યાત્મિક અનુભવ કરાવ્યો હતો. કાર્યક્રમના ત્રીજા દિવસે ખાસ કરીને વિવિધ પ્રાંતોમાંથી આવેલી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રીમતી માલતી જોશી તથા કમીટીના સભ્યોએ ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સતત યોજાતા રહે અને નવી પેઢીને ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સ્ટોરી : પ્રતિનિધિ જૈમિની ગોર

પ્રકાશિત : નિતેશ ગોર 

Related posts

વિનોદભાઈ ચાવડા ફ્રેન્ડ્સ કલબ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની ઠંડીમાં ગરમ વસ્ત્રો અપાયા

Kutch Kanoon And Crime

કચ્છ સહિત ગુજરાત પોલીસમાં ખડભડાટ મચાવનાર ઇલેક્ટ્રોથેમ કંપનીના પરમાનંદ શિરવાણી અપહરણ અને ખંડણી મામલે પૂર્વ કચ્છમાં ફરજ બજાવી ગયેલા IPS પોલીસવડાની ગમે ત્યારે ધડપકડ થવાના સંકેત

Kutch Kanoon And Crime

નલિયા એસટી ડેપોના લોકપ્રિય ડ્રાઇવરની બદલી થતાં ભાવ ભરી વિદાય અપાઇ…

Leave a comment