મોટી થયેલી થાઈરોઈડ ગ્રંથીએ શ્વાસ, અન્નનળી અને મગજને લોહી પહોંચાડતી નસને ભીંસમાં લેતાં કરાયું સફળ ઓપરેશન…
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ENT વિભાગે એકજ દિવસમાં બે જુદી જુદી વ્યક્તિઓની સામાન્ય કરતાં મોટી થઈ ગયેલી અને શ્વાસ, અન્નનળી અને મગજને લોહી પહોંચાડતી નસ ઉપર દબાણ કરતી થાઇરોઇડ ગ્રંથીનું જટિલ કહી શકાય તેવું સફળ ઓપરેશન કરી બંને દર્દીઓને અનેક પ્રકારની રોજિંદી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીમાંથી મુક્તિ આપી નવજીવન આપ્યું હતું. જી.કે. માં લાંબા સમય દરમિયાન આવા બે હજાર જેટલા થાઇરોઇડના જુદા જુદા ઓપરેશન કર્યાનો બહોળો અનુભવ ધરાવતા ENT વિભાગના હેડ અને ચીફ મેડિકલ સુપ્રિટેન્ડ ડો.નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે, નાનબાઈ મહેશ્વરી ઊ.વ. ૬૦ અને બીજા જુલેના મામદ સમા ઊ.વ.૫૮ નામના દર્દીઓની થાઈરોઈડ ગ્રંથી સામાન્ય કરતાં અત્યંત મોટી થઈ ગઈ હતી.
મોટી બનેલી ગ્રંથી શ્વાસ અને અન્નનળી ઉપર દબાણ કરતી હોવાથી ખાવા પીવા અને સૂવા સમયે શ્વાસ લેવામાં તો તકલીફ પડતી હતી. સાથે સાથે આ ગ્રંથીની સાઈઝને કારણે મગજમાં લોહી પહોંચાડતી નળી સાથે પણ ચોંટી જવાને કારણે તેની જટિલતા વધી ગઈ હોવાથી થાઈરોઈડ ગ્રંથીનું ઓપરેશન કરવું જરૂરી હતું.
ENT સર્જન ડો. નરેન્દ્ર હિરાણીને જી.કે.માં થાઇરોઇડના કુલ બે હજાર જેટલાં ઓપરેશન કર્યાનો બહોળો અનુભવ ધરાવે છે…
ડો. હિરાણી અને ડો. રશ્મિ સોરઠીયાએ સફળતા પૂર્વકના ઓપરેશન બાદ કહ્યું કે, આવા ઓપરેશનમાં તકેદારી રાખવામાં ન આવે તો, બોલવાની નસને ઇજા થાય અને દર્દીને બોલવાની મુશ્કેલી સાથે અવાજ ઘોઘરો થઈ જાય પરિણામે ગળામાં કાણું કરી સ્પષ્ટ બોલવા માટે નળી (ટ્રેકોસ્ટ્રોમી) મૂકાવી પડે છે. સદભાગ્યે ઓપરેશનમાં કાળજી સેવવાથી દર્દીઓ સરળતાથી બોલી શકે છે. ઉપરાંત નસો ચોંટેલી હોવાથી ઓપરેશન દરમિયાન લોહી વહી જાય તો લોહીની બોટલો પણ ચડાવવી પડે અને જીવનું જોખમ સર્જાય પરંતુ લેવાયેલી કાળજીને કારણે એકપણ બોટલની જરૂર ઊભી ન થઈ અને સમગ્ર શસ્ત્રક્રિયા સુપેરે પર પાડી શકાઈ. બંને દર્દીને આ મુશ્કેલી છેલ્લા ૫-૬ વર્ષથી હતી.
થાઈરોઈડ શરીરની મહત્વપૂર્ણ ગ્રંથી છે, જે કેટલાક હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને છોડે છે. ઉપરાંત ચયાપચયનું નિયમન કરે છે અને ખોરાકનું ઊર્જામાં રૂપાંતર કરી શરીરના તમામ કોષને ઉર્જા પહોંચાડે છે. આ શસ્ત્રક્રિયામાં ડો. હેતલ જોશી, ડો. નિસર્ગ દેસાઈ, ડો. ધ્રુવિન, ડો. આયુષ, ડો. મ્રીદીમા, ડો. ખુશી તેમજ એનેસ્થેટીક ડો. ક્રિષ્ના કારા જોડાયા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334