કચ્છમાં Dysp તરીકે ફરજ બજાવી ગયેલા અને ગુજરાત પોલીસ પ્રશાસનમાં ફરજનિષ્ઠ અને કડક અધિકારીની છાપ ધરાવતા રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત થયેલા નિવૃત Dysp એન.ડી. જાડેજા (નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા)ના એકના એક પુત્ર ભાવનગર રહેતા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાની પત્ની બીનાબા જાડેજા ઉ.વ. 38, દીકરી નંદિનીબા ઉં.વ. 15, બીજી દીકરી યશ્ચિબા ઉ.વ. 11, ને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના પાળેલા કુતરા ટોમીને પણ ગોળી મારી પોતે પોતાના લમણે ગોળી છોડી આત્મહત્યા કરી લીધી હતી. કન્ટ્રકશન અને જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા પૃથ્વીરાજસિંહે સામુહિક આત્મહત્યા કરતા પહેલા પોતાના મિત્રોને પોતે આત્મહત્યા કરી રહ્યો છું. તેવા વોટ્સએપ મેસેજ કર્યા બાદ તેમના મિત્રો તેમના ઘરે પહોંચે તે પહેલા પૃથ્વીરાજસિંહના વિજયનગર ખાતે આવેલા “પૃથ્વીરાજ” બંગલામાં આત્મહત્યા કરી લીધી હતી. આખે આખા પરિવારના લોહી નીકળતા મૃતદેહો જોઇ સૌ કોઇના પગ નીચેની ધરતી ખસી ગઇ હતી. ગત બુધવાર તારીખ ૧૬મીએ સાંજે ૫ : ૩૦ કલાકથી ૬ વાગ્યા સુધીના અરસામાં ભાવનગરના વિજય નગર વિસ્તારમાં બનેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છ ક્ષત્રિય સમાજમા ખળભળાટ મચાવનાર આ ઘટનાએ રહસ્યના તાણા-વાણા સર્જ્યા છે.
Dysp તરીકે નિવૃત્ત થઈને ભાવનગરના વિજય નગર વિસ્તારમાં પ્લોટ નંબર 629 પર પોતાના એકના એક દીકરા પૃથ્વીરાજસિંહના સપનાનું મકાન બનાવી મકાનનું નામ પણ “પૃથ્વીરાજ” રાખીને શ્રી એન.બી. જાડેજા સ્થાયી થયા હતા. તેમના પુત્ર પૃથ્વીરાજસિંહ જમીન લે-વેચ અને કન્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયા હતા. બાદમાં નરેન્દ્રસિંહના દિકરા પૃથ્વીરાજસિંહના લગ્ન થઈ ગયા પછી શ્રી એન.ડી. જાડેજા પોતાના મૂળ વતન કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામે સ્થાયી થયા હતા અને પરંપરાગત ખેતી વ્યવસાયમાં પડ્યા હતા જ્યારે તેમના દીકરા પૃથ્વીરાજસિંહ પત્ની બીનાબા અને બે દીકરીઓ સાથે ભાવનગર પિતાએ બનાવેલ મકાનમાં રહેતા હતા. સ્વભાવે શાંત છતાં પોલીસ ખાતામાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા શ્રી એન.બી. જાડેજાની જેમ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહની છાપ પણ સીધા સરળ અને શાંત સ્વભાવની હતી અને આર્થિક રીતે પણ કોઈ ખાસ ચિંતાનું કોઈ કારણ નહોતું તેમ છતાં પૃથ્વીરાજસિંહે પોતાની પત્ની બે દીકરીઓ અને પાળેલા કુતરા, આ તમામને મોતની ચાદર ઓઢાડી જાતે પણ મોતની સોડ શા માટે તાણી લીધી આ એક સવાલે અનેક પ્રકારના રહસ્ય સર્જ્યા છે. પોલીસ દ્વારા આ ઘટનાક્રમનો તાગ મેળવાઇ રહ્યો છે. તો આ ઘટના પહેલા પૃથ્વીરાજસિંહએ પોતાના મિત્રોને વોટ્સએપ મેસેજ કરી હું આત્મઘાતી પગલું ભરી રહ્યા છે. તેમ જણાવ્યું હતું પરંતુ તેની પાછળનું કારણ નથી જણાવ્યું પૃથ્વીરાજસિંહના પત્ની બીનાબા જાડેજા ભાવનગર કરણી સેના મહિલા પાંખના અધ્યક્ષ હતા. તેથી સ્પષ્ટ થાય છે કે આ પરિવાર સામાજિક અને જાહેર જીવન સાથે જોડાયેલું હતું તેમ છતાં શા કારણે આ પરિવારના મોભીએ આત્મઘાતી પગલું ભર્યું એ એક સવાલ છે આ ઘટનાએ કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગોહિલવાડ ક્ષત્રિય સમાજમાં અરેરાટી સાથે હાહાકાર મચાવી દીધો છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334