ભચાઉ શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશોત્સવ નિમિત્તે શહેરના જય માતાજી ચોક ખાતે શ્રી જગન્નાથ યુવક મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે ભવ્ય ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ વાજતે-ગાજતે ગણપતિ બાપાની ભવ્ય સ્થાપના કરી પૂજન-અર્ચન સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગણેશજીની સ્થાપના બાદ સમગ્ર જય માતાજી ચોક સહિત આસપાસનો વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો છે. શ્રી જગન્નાથ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ દરમિયાન દરરોજ મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક અને ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગણપતિ બાપાના દર્શન અને મહાઆરતીમાં દરરોજ ભચાઉ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. સાંજના સમયે યોજાતી મહાઆરતી દરમિયાન સમગ્ર વાતાવરણ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ગણેશજીના દર્શન કરી આરતીમાં ભાગ લેવામાં આવે છે. ગણેશોત્સવને લઈને નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાઆરતીના પ્રસંગે ભચાઉ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપતિ પેથાભાઈ રાઠોડ, પૂર્વ નગરપતિ અશોકસિંહ ઝાલા, કુલદીપસિંહ, વિરેન્દ્રસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, ધીરજભાઈ જોષી, રાજેન્દ્રસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર, ઉમિયાશંકર જોષી, વિશાલ કોટક, ઈશ્વરભાઈ ઓઝા, વાધજીભાઈ છાંગા સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જગન્નાથ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવનું સુંદર અને શિસ્તબદ્ધ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજનથી ભચાઉ શહેર ગણેશમય બન્યું છે અને ગણેશભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા…
