વિદ્યાર્થીઓને ઇમરજન્સીમાં 108નો ઉપયોગ કરવાની અપાઈ માહિતી…

રાપર તાલુકાના આણંદપર ગામની પ્રાથમિક શાળામાં આજે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સની સેવાઓ, કામગીરી તેમજ ઇમરજન્સી સમયે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ કચ્છ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ભંવરલાલ પ્રજાપતિ તથા EME પરાગ ચાંદાલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં IFT બેલા 108ના EMT નગીનભાઈ અને પાઇલટ દીપક ગઢવીએ વિદ્યાર્થીઓને 108 સેવા વિશે સરળ ભાષામાં સમજ આપી હતી. કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું કે કોઈપણ અકસ્માત, ગંભીર બિમારી, ગર્ભાવસ્થા અથવા અન્ય ઇમરજન્સી પરિસ્થિતિમાં ખાનગી વાહનનો ઉપયોગ કરવા કરતાં 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાથી દર્દીને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ જરૂરી તબીબી સારવાર મળતી હોવાથી જીવન બચાવવાની શક્યતા વધે છે. સાથે જ રાપર તાલુકાના અનેક અંતરિયાળ ગામોમાં હજુ પણ લોકો 108 સેવાનો પૂરતો ઉપયોગ કરતા નથી, તે બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ મારફતે સમાજ સુધી જાગૃતિ પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકોને કોઈપણ ઇમરજન્સીમાં નિઃશુલ્ક 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમના અંતે આણંદપર પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ ગૌસ્વામી તથા શિક્ષકગણ દ્વારા 108ની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આવી જનજાગૃતિ પ્રવૃત્તિઓ વધુ ગામોમાં યોજાય તેવી આશા વ્યક્ત કરી.
પ્રકાશિત નીતેશ ગોર ભુજ
