પૂર્વ કચ્છના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે માનવતાભર્યું અને પ્રશંસનીય કાર્ય કરતાં છત્તીસગઢ રાજ્યમાંથી અપહરણનો ભોગ બનેલી 12 વર્ષની કિશોરીને શોધી કાઢી તેના વાલી-વારસાને સુરક્ષિત રીતે સોંપી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, ભુજ), પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા અને અપહરણના ભોગ બનેલા બાળકોને શોધી કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પોલીસ હેલ્પલાઇન 112 પર એક સગીર બાળકી અંગે માહિતી મળતા તેને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ બાળકીની ઓળખ અને તેના પરિવાર અંગે તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન બાળકીના જણાવ્યા મુજબ છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જિલ્લાના સિરગીટ્ટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે બાળકી હર્ષા વિજય શર્મા (ઉંમર 12 વર્ષ), રહે. અટલ આવાસ, દેવરીખુર્દ, બિલાસપુર છત્તીસગઢની છે અને તે સિરગીટ્ટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો ક્રમાંક 0481/2026, BNS કલમ 137(2) હેઠળ અપહરણનો ભોગ બનેલી કિશોરી છે. ત્યારબાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે છત્તીસગઢ પોલીસ તેમજ બાળકીના વાલી-વારસાનો સંપર્ક કરી તેમને ગાંધીધામ બોલાવ્યા હતા. જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બાળકીને તેના પરિવારને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. આ સમગ્ર સફળ કામગીરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડ તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
પ્રકાશિત નીતેશ ગોર – ભુજ
