કચ્છના નારાયણ સરોવર ખાતે આજે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને માછીમારો સાથે પબ્લિક કોન્ટેક્ટ વધારવાના હેતુસર “ફિશરમેન અવેરનેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા તથા અધિક પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા) એ.એમ.મુનિયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના નિર્દેશનમાં નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પી.આઈ. આર.ડી. ઝાલા, નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. કુણીયા, પી.એસ.આઈ. તેમજ મરીન કમાન્ડોની ટીમ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન માછીમારોને સમજાવવામાં આવ્યું કે દરિયાઈ સુરક્ષામાં તેઓ ફ્રન્ટલાઈન સર્વેલન્સ તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માછીમારી દરમિયાન કોઈ અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિ, સ્મગલિંગ, ડ્રગ્સ, પેકેટ, બેગ, ડ્રોન, દાણચોરી અથવા અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ નજરે પડે તો તેની તાત્કાલિક જાણ સુરક્ષા એજન્સીઓને કરવા અપીલ કરવામાં આવી હતી. સમયસર મળતી માહિતીથી ગેરકાનૂની પ્રવૃત્તિઓને શરૂઆતના તબક્કે જ રોકી શકાય છે, તેવી સમજણ આપવામાં આવી. કાર્યક્રમમાં ફિશરીઝ વિભાગના દીપુભા ગોહિલ અને નારાયણ સરોવર માછીમાર સંગઠનના પ્રમુખ અશરફ ભાડલાએ પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મર્ચન્ટ શિપિંગ એક્ટ-1954, મત્સ્ય ઉદ્યોગ કાયદો-2003, બોટનું રજીસ્ટ્રેશન અને લાયસન્સ, ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ બોટ મૂવમેન્ટ, બોટમાં જરૂરી સુરક્ષા સાધનો, ટ્રાન્સપોન્ડર (બોટ ટ્રેકિંગ), ફિશરીઝ ગાર્ડ તથા માછીમારોની સુરક્ષા અને સાવચેતી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આજ રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક માછીમારોએ હાજરી આપી હતી અને દરિયાઈ સુરક્ષા માટે પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ સાથે સતત સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રકાશિત નીતેશ ગોર – ભુજ
