કચ્છ જિલ્લાના મુંદરા તાલુકામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે જિલ્લા વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મોજે દેશલપર અને સમાઘોઘા ગામે સરકારી જમીન પર થયેલા ખેતી તેમજ વાણિજ્ય હેતુના દબાણો દૂર કરાવી સરકારના કબજામાં જમીન પરત લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, દેશલપર ગામની સરકારી સર્વે નં. 36ની કુલ 48,259 ચોરસ મીટર જમીન પર ખેતીના હેતુથી દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે સમાઘોઘા ગામની સરકારી ટાવર્સ નં. 369 પૈકીની 2,000 ચોરસ મીટર જમીન પર વાણિજ્ય હેતુ માટે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. બંને મળી કુલ 50,259 ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ થયેલું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મામલતદાર, મુંદરા દ્વારા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દબાણકર્તાઓને પોતાની રજૂઆત કરવાની સંપૂર્ણ તક આપ્યા બાદ દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જંત્રી દર મુજબ આ જમીનની કુલ બજાર કિંમત અંદાજે રૂપિયા 55,34,648 હોવાનું તંત્રએ જણાવ્યું છે. તા. 4 જુલાઈ, 2026ના રોજ કલેક્ટર અનિલ રાણાવસિયા તથા પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કે.એસ. ગોંદિયાની ટીમ સ્થળ પર પહોંચી હતી. તંત્રની હાજરીમાં દબાણકર્તાઓએ સ્વેચ્છાએ ગેરકાયદેસર દબાણ દૂર કર્યું હતું. ત્યારબાદ સમગ્ર જમીનનો કબજો સરકાર દ્વારા સત્તાવાર રીતે પોતાના હસ્તક લેવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી યથાવત ચાલુ રહેશે અને જાહેર મિલકતોનું સંરક્ષણ પ્રાથમિકતા રહેશે.
પ્રકાશિત નીતેશ ગોર ભુજ
અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા…
