બનાસકાંઠા જિલ્લામાં ખનિજ સંપત્તિના પરિવહન દરમિયાન રોયલ્ટી ચોરી અને ઓવરલોડ વાહનોના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાંથી રોયલ્ટી ચોરી અંગે ફરિયાદો અને રજૂઆતો ઉઠી રહી હોવા છતાં ખાણ અને ખનિજ વિભાગ દ્વારા પૂરતી અસરકારક કાર્યવાહી કરવામાં ઢીલાશ દાખવાતી હોવાની ચર્ચા લોકમુખે ચાલી રહી છે. આ વચ્ચે દાંતીવાડા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની છે. તાજેતરમાં દાંતીવાડાના જાત ગામ વિસ્તારમાં રોયલ્ટી ચોરીનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. ચૌધરીએ રોયલ્ટી ચોરી અને ઓવરલોડ વાહનો સામે કડક વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ તા. 11 જૂનના રોજ પીઆઈ એમ.જે. ચૌધરી, ટ્રાફિક વિભાગના નરેશભાઈ ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ દાંતીવાડા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત હતા. તે દરમિયાન કુચાવાડા તરફથી કપચી ભરેલો એક ડમ્પર આવી રહ્યો હતો. પોલીસે વાહનને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ડમ્પરના ચાલકે વાહન અટકાવવાને બદલે તેને ઝડપી હંકારી નાસવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસ ટીમે ડમ્પરનો પીછો કરી તેને રોકવામાં સફળતા મેળવી હતી. પોલીસ દ્વારા ડમ્પરના દસ્તાવેજો અને રોયલ્ટી પાસની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડમ્પરમાં ભરાયેલ કપચીનો જથ્થો રોયલ્ટી પાસમાં દર્શાવેલી મંજૂર ક્ષમતા કરતાં અંદાજે 10 ટન વધુ હતો. આ રીતે પરમિટની મર્યાદા કરતાં વધુ ખનિજ સામગ્રીનું પરિવહન કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે ડમ્પરને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. સ્થાનિક લોકોના મતે રોયલ્ટી ચોરી અટકાવવાની મુખ્ય જવાબદારી ખાણ અને ખનિજ વિભાગની હોવા છતાં આવા કિસ્સાઓમાં વિભાગની નિષ્ક્રિયતા અનેક પ્રશ્નો ઉભા કરે છે. બીજી તરફ દાંતીવાડા પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરી રોયલ્ટી ચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
દાંતીવાડા પીઆઈ એમ.જે. ચૌધરી તથા તેમની ટીમની સતર્કતા અને ઝડપી કાર્યવાહીની સ્થાનિક નાગરિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. ખાણ ખનીજ અધિકારીની બેદરકારી સામે દાંતીવાડા વિસ્તારના લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે તો રોયલ્ટી ચોરી અને ઓવરલોડ વાહનોના ગેરકાયદે ધંધા પર અસરકારક અંકુશ આવી શકે છે.
(અહેવાલ પ્રતિનિધિ : આનંદ પરમાર બનાસકાંઠા)
