રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ પામનાર એક સાથે બે ૬૬ કે.વી.ના સબ સ્ટેશનોનું કુલ રૂ.૧૭૭૬.૯૦ ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભુજ તાલુકાના ભારાપર ખાતે ભારાપર અને મમુઆરાના ૬૬ કે.વી.સબ-સ્ટેશનોનું ભૂમિપૂજનવિધિ-તકતીનું અનાવરણ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે કરાયું હતું. આ તકે આયોજિત સમારોહમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, આજે બે સબ સ્ટેશનોના ખાતમૂહૂર્ત કરતાં આ વિસ્તારના લોકોને શુભ કામના પાઠવું છું. આ ૬૬ કે.વી. સબ સ્ટેશનો બનવાથી આજુબાજુના ૧૫ થી ૧૮ ગામોમાં લો-વોલ્ટેજની સમસ્યાનો અંત આવશે અને પાવર સપ્લાયમાં કોઈ મુશ્કેલી નહીં પડે. આવતાં છ મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પને કારણે ૨૪ કલાક વીજળી મળવાને કારણે ગામડાંઓ ધબકતાં થયા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આ સંકલ્પને આગળ વધારી રહ્યા છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈ માતાએ કર્યું હતું અને આભારવિધિ બી એસ મહેશ્વરીએ આટોપી હતી. આ પ્રસંગે અગ્રણીશ્રી હરિભાઈ જાટીયા, ભારાપર ગામના સરપંચ દેવાભાઇ મહેશ્વરી, સુરજપર ગામના સરપંચ મેપાની, મમુઆરા ગામના સરપંચ શરમનભાઇ, સેડાતા સરપંચ લતીફભાઇ, વડઝરના સરપંચ પૃથ્વીરાજસિંહ, ભારાપર ઉપસરપંચ રાયમા મહમંદ, કુંભાર ઈસ્માઇલ, શંભુભાઇ રબારી, અધિક્ષક ઈજનેર પી.જી.વી.સી.એલ., એસ.એન. ગરવા, અધિક્ષક ઈજનેર ગેટકો ડી.બી. વામજા, કેરા એચ.જે.ડી. જગદીશ હાલાઇ, અંજાર કાર્યપાલક ઈજનેર ગેટકો એન.વી. ટેવાણી, ભુજ કાર્યપાલક ઈજનેર ગેટકો બી.કે. અંતાણી, કાર્યપાલક ઈજનેર ડી.એમ. જોશી, કિર્તન પોકાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334