અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામના લોકોનો વરસાદમાં વારંવાર વિખુટા પડી જવાની સમસ્યાથી છુટકારો થયો છે એટલું જ નહીં પરંતુ કોઠારા તરફથી ગામ તરફ આવવા માટે ઓછામાં ઓછા પાંચ કિલોમીટરનો ફેરો પણ બચી જશે કારણ કે હવે વાંકુ મોટી સિંધોડી ગામને જોડતા નવા બનેલા એપ્રોચ રોડ પર આજથી ડામર પાથરવાની શરૂઆત થઈ છે જેના કારણે ગામ લોકોને હવે કોઠારા થઈને તાલુકા મથક નલિયા કે ભુજ સુધી પહોંચવામાં રાહત મળશે. મોટી સિંધોડી ગામની સૌથી મોટી સમસ્યા રસ્તાની હતી તેમાં પણ નદી પરની તૂટી ગયેલી પાપડીના કારણે ચાલુ વર્ષ દરમિયાન અનેક વખત આ ગામ દેશ અને દુનિયાથી વિખુટુ પડી ગયું હતું. આ સમસ્યાના ઉકેલ માટે નદી પર કોઝવે તો મંજૂર થયું છે પરંતુ કોઝવે બને ત્યાં સુધી ગામને જોડતો રસ્તો જરૂરી હતો જે અંગે તાજેતરમાં છેક રાજ્યના મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરાઈ હતી આ ઉપરાંત આવતીકાલે નલિયા ખાતે યોજાનાર મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ માટેની મિટિંગમાં પણ આ મુદ્દો રખાયો હતો અને ભારપૂર્વક ગામના મુખ્યત્વે રસ્તા અંગેની રજૂઆત કરાઈ હતી. કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાનાર મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ પૂર્વે જ હવે ગામને જોડતા નવા બનેલા એપ્રોચ રોડ પર ડામર થઈ જતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે પરજાઉ ચાર રસ્તાથી ગામ સુધીના ત્રણ કિલોમીટરના તદન ખખડધજ બની ગયેલા રોડને પણ ડામર કરાય તો આ ગામને ખૂબ મોટી રાહત થઈ શકે તેમ છે આ અંગે આવતીકાલે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નિર્ણય લેવાય તેવી આશા ગામ લોકો સેવી રહ્યા છે…
નોંધનીય છે કે મોટી સિંધોડી ગામને અનેક સુવિધાઓથી વંચિત રખાયા છે આ અંગે તાજેતરમાં છેક રાજ્યના મુખ્યપ્રધાન સુધી રૂબરૂ મુલાકાત ગોઠવીને ગામના વિકાસને લગતી સમસ્યાઓ રજૂ કરાઈ હતી જેના આઘાત પ્રત્યાઘાત પડવા લાગ્યા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334