રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકો ગુજરાત રાજ્યમાં ટેકનિકલ શિક્ષણના વિકાસની સાથે સાથે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે હંમેશા નિષ્ઠાપૂર્વક અને ખંતથી ફરજ બજાવી રાજ્યના તેમજ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે. સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબજ લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરેલી છે. સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત માટે મંડળના હોદેદારો સાથે અગ્ર સચિવશ્રી, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીશ્રીઓની હાજરીમાં તારીખ ૨૮/૧/૨૦૨૨ ના રોજ યોજાયેલ રૂબરૂ મુલાકાત દરમ્યાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોની રજૂઆત અન્વયે ચર્ચા થયેલ પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવા સંબધીત અધિકારીશ્રીઓ વચ્ચે જરૂરી સહમતી દર્શાવેલ હતી. પરંતુ આજ દિન સુધી યોગ્ય નિરાકરણ આવેલ નથી. સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત માટે મંડળના હોદેદારો સાથે જે તે સમયના શિક્ષણ મંત્રીશ્રી, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીશ્રીઓની હાજરીમાં તારીખ ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ યોજાયેલ રૂબરૂ મુલાકાત દરમ્યાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોની રજૂઆત અન્વયે ચર્ચા થયેલ પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવા જે તે સમયના શિક્ષણ મંત્રીશ્રી દ્વારા સંબધીત અધિકારીશ્રીઓને જરૂરી સુચન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આજ દિન સુધી પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સરકારી ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે CAS, બઢતી, વિનંતી બદલી, એડહૉક સેવા સળંગ, વર્ગ-3 ની ભરતી, QIP હેઠળ ઉચ્ચ અભ્યાસ વગેરે બાબતે અનેક વર્ષોથી મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલન આવતા, સર્વે અધ્યાપકો અને મંડળ દ્વારા 5 સપ્ટેમ્બર 2023 શિક્ષક દિનથી જ ત્રણ તબક્કામાં આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. આ બાબતે ૩૧/૮/૨૦૨૩ ના રોજ કમિશનર શ્રી ટેકનિકલ શિક્ષણ તથા અગ્ર સચિવશ્રી શિક્ષણ વિભાગ દ્વારા સંવેદનશીલતા દાખવી મંડળના હોદ્દેદારોને સર્વે અધિકારીઓની હાજરીમાં રૂબરૂ મુલાકાત આપી હતી અને તમામ પ્રશ્નોના વિગતવાર ચર્ચા કરી હતી. આ મુલાકાતમાં તેમણે નિયત સમય મર્યાદામાં જ ઉકેલના આશ્વાસન સાથે આંદોલન સ્થગિત રાખવા સૂચન કરેલ હતું. અધ્યાપક મંડળના હોદ્દેદારોએ કમિશનરશ્રી, ટેકનિકલ અને અગ્ર સચિવશ્રી, શિક્ષણ વિભાગના અભિગમ પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ દાખવી, 15 ઓક્ટોબર 2023 સુધી આંદોલન સ્થગિત કરવા જાહેરાત કરી હતી. ત્યાર બાદ 4 સપ્ટેમ્બર 2023 ના રોજ શિક્ષણ મંત્રી (ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણ)ની રૂબરૂ મુલાકાતમાં તેઓએ પણ વિધાનસભાના વિશેષ સત્ર બાદ વિગતવાર મુલાકાત આપવા માટેની સહમતિ દર્શાવી હતી પરંતુ આજ દિન સુધી શિક્ષણ મંત્રી (ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણ)ની અધ્યક્ષતામાં શિક્ષણ, ટેકનીકલ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને મંડળના હોદેદારોની કોઈ મીટીંગનું આયોજન થયેલ નથી તેમજ આજ દિન સુધી કોઈ પણ પડતર પ્રશ્નો અંગે કોઈ નોધપાત્ર ઉકેલ આવ્યું નથી. જેથી તમામ અધ્યાપકો જેમ અગાઉ જાન્યુઆરી ૨૦૨૨ અને ઓક્ટોબર ૨૦૨૨ માં જે તે સમયનાં શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગ, અને ટેકનીકલ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નો અંગેનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા બાયંધરી આપવા છતાં સુખદ ઉકેલ ન આવતા તમામ અધ્યાપકોમાં છેતરામણી અને અન્યાયની લાગણીથી નિરાશા ફેલાઈ ગઈ હતી એ જ રીતે ફરી એક વખત સમગ્ર ટેકનીકલ અધ્યાપકો ભારોભાર અન્યાય, નિરાશા, હતાશા અને રોષની લાગણી અનુભવી રહ્યા છે. ટેકનીકલ શિક્ષણ વિભાગમાં આશરે ૬૦૦ (છ સો) જેટલા કોર્ટ કેસો હોવા, એ વિભાગની નિતિ-રીતી અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઉભો કરે છે. મહિનાઓ અને વર્ષો સુધી રાહ જોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપવાનું ઠરાવેલ છે.
છેલ્લા ઘણા વર્ષોથી સમયાંતરે રજુ થયેલ મુખ્ય પડતર પ્રશ્નો નીચે મુજબ છે…
CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ), 8 વર્ષથી વધુ સમય પસાર થવા છતાં સરકારી ઈજનેરી કોલેજ ના અધ્યાપકો 1/1/2016 થી મળવાપાત્ર CAS ના લાભથી વંચિત છે. AICTE, New Delhi દ્વારા માર્ચ, 2019 માં સાતમા પગારપંચ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ. ત્યારબાદ માર્ચ, 2020 માં રાજ્ય સરકારે સાતમા પગાર પંચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી પરિપત્ર બહાર પાડેલ. આજ AICTE Notification ને ૪ વર્ષ થી વધુ સમય વીતી જવા છતાં પણ CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગેના ધારાધોરણ ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ નથી, શિક્ષણ વિભાગ હેઠળ સમાવિષ્ટ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધ્યાપકો માટે CAS અંગેનો ઠરાવ અંદાજે ૧૮ મહિના અગાઉ પ્રસિદ્ધ કરી દેવામા આવેલ તેમજ તેના અનુસંધાનમાં અંદાજે ૬ મહિના અગાઉ આશરે ૩૦૦ જેટલા અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણ લાગુ પાડી દેવામાં આવ્યુ છે. પંરતુ CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગેના ધારાધોરણ સરકારશ્રી દ્વારા ટેકનીકલ કોલેજો માટે નક્કી કરવામાં આવેલ નથી જેના પરિણામે રાજ્યની સરકારી ઈજનેરી કોલેજો અધ્યાપકો છેલ્લા 12 વર્ષથી એક જ પગાર ધોરણમાં ફરજ બજાવી રહ્યા છે, જે ખરેખર દુઃખજનક છે. છેલ્લાં કેટલાંય સમયથી અલગ અલગ વિભાગમાં અલગ અલગ કેડરનાં પ્રમોશનનાં ઓર્ડર થયા છે પંરતુ કોઈ પણ કારણો વગર ૧૨ વર્ષથી વધુ સમય થયો હોવા છતાં અને યોગ્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા છતાં સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોને ક્લાસ ૨ માંથી ક્લાસ ૧ ના પ્રમોશન મળેલ નથી. જેનાથી અધ્યાપકોની કારકિર્દી ને નુકશાન થાય છે. ટેકનિકલ શિક્ષણ વિભાગમાં નિયમિત નિમણૂક પૂર્વેની એડહોક સેવાને સળંગ ગણવા નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવેલ છે છતાં આવા અધ્યાપકોને રજા, પગાર, પગારધોરણ, પેન્શન હેતુસર સેવા સળંગ ગણવાના કોઈ જ આદેશ સરકાર દ્વારા આજ દિન સુધી થયેલ નથી જ્યારે ઉચ્ચ શિક્ષણ તથા મેડિકલ શિક્ષણ ના અધ્યાપકોને આજ પ્રકારની સેવા સળંગ ગણવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે, જે વિભાગની ભેદભાવપૂર્ણ નીતિનું ઉદાહરણ છે. ઘણા અધ્યાપકોએ વિવિધ સંસ્થાઓમાં 5 વર્ષથી વધુ નિષ્ઠાપૂર્વક સેવા આપેલ છે અને વિનંતી બદલીની અરજી કરેલ છે. જે પૈકી ઘણા પતિ-પત્ની, Medical Ground, અરસ-પરસ બદલી જેવા સંવેદનશીલ Cases ભી સામેલ છે તો આ અંગે સત્વરે ઉકેલ લાવવો જરૂરી છે. Re-Structuring બાદ કોલેજો ખાતે ના કાર્યભાર ના સંદર્ભ માં પણ આ આવશ્યક છે.
બિન શૈક્ષણિક કામગીરી : રાજ્યની સરકારી ઈજનેરી કોલેજો ખાતે વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની મોટા પ્રમાણમા જગ્યાઓ ખાલી છે. જેથી ઘણી બિન શૈક્ષણિક કામગીરી નું ભારણ હયાત અધ્યાપકો ઉપર આવી રહ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ તથા અન્ય વહીવટી કામગીરીને ગંભીર અસર થાય છે.
M.E./Ph.D. ઉચ્ચ અભ્યાસ માટે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક સમય થી ડેપ્યુટેશનના કોઈ જ આદેશ ના કરતાં અધ્યાપકો તેમની કારકિર્દી માટે અનિવાર્ય અભ્યાસ ના કરી શકતાં ખૂબ જ તણાવ અનુભવે છે. પરંતુ આજ દિન સુધી કોઈ સકારાત્મક ઉકેલ આવેલ નથી. જેના અનુસંધાને નીચે મુજબના કાર્યક્રમ આપવાનું સર્વાનુમતે ઠરાવેલ.
પડતર પ્રશ્નો માટે સોશિયલ મીડિયા અભિયાન… પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે ત્યાં સુધી તમામ સભ્યો દ્વારા પોતાના અધિકાર માટે સોશ્યલ મિડીયા ના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગે ના મેસેજ/પોસ્ટર/સૂત્રો મુકવા.
Stage-1 : ૧૬ ઓક્ટોબર થી ૨૭ ઓક્ટોબર: કાળા કપડાં/કાળી પટ્ટી કાર્યક્રમ…
તમામ સભ્યો કાળા કપડા પહેરશે / કાળી પટ્ટી ધારણ કરશે. શૈક્ષણિક સિવાય ના સમય દરમ્યાન કે રિશેષ દરમ્યાન સંસ્થા ખાતે તમામ સભ્યો એકત્રિત થઇ બેનર/પોસ્ટર સાથે સૂત્રોચાર/રામધૂન/આરતી/ગરબા કરશે. ૧૬ ઓક્ટોબરથી તમામ સભ્યો દ્વારા તમામ બિનશૈક્ષણિક કામગીરી તેમજ તમામ સરકારી કાર્યક્ર્મ (શૈક્ષણિક અને પરીક્ષા લગતા તમામ કાર્યો સિવાય) નો બહિષ્કાર કરશે. જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલનાં આવે ત્યાં સુધી…
Stage-૨ : ૩૧ઓક્ટોબર: ગાંધી નગર ખાતે ઘરણા ફેમીલી ના સભ્યો સાથે તમામ સભ્યો ગાંધી નગર ખાતે ઘરણા ફેમીલીના સભ્યો સાથે પડતર પ્રશ્નોની માંગ સાથે કરશે..
Stage-૩ : ૬ નવેમ્બર : એક દિવસીય ઉપવાસ
તમામ સભ્યો સંસ્થા ઉપર હાજર રહી ખાતે પડતર પ્રશ્નો ની માંગ સાથે એક દિવસીય ઉપવાસ કરશે.
તમામ સભ્યો એકત્રિત થઇ બેનર/પોસ્ટર સાથે સૂત્રોચાર/રામધૂન કરશે. અંદોલનત્મક કાર્યક્રમો કરવાથી પણ જો પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ નહિ આવે જરૂર પડયે સરકારી ઇજનેરી કોલેજ ના અધ્યાપકો નાં મંડળ દ્વારા આનથી પણ ઉગ્ર અંદોલનત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. અગમ્ય કારણોસર વારંવાર મૌખિક બાહેધરી આપવા છતાં આજદિન સુધી અધ્યાપકોના પડતર પ્રશ્નોનું આપેલ સમય મર્યાદામાં ન્યાયિક નિરાકરણ આવેલ નથી. શિક્ષકનું આચરણ સમાજ માટે એક ઉદાહરણ સ્વરૂપ હોય છે પરંતુ આ શિક્ષકોના ન્યાયિક પ્રશ્નો પ્રત્યે સક્ષમ અધિકારીઓ દ્વારા ઉદાસીન વલણ અપનાવવામાં આવતું હોય, મહિનાઓ અને વર્ષો સુધી રાહ જોવા છતાં પ્રશ્નોનો ઉકેલ આવેલ નથી. આ સંજોગોમાં ના છૂટકે અને ભારે હ્રદયે રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૩થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું છે.
અહેવાલ અધ્યાપકો દ્વારા…
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334