માનકૂવા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી…
ભુજ તાલુકાના સામત્રા ગામમાં એક હચમચાવી દેનાર બનાવ સામે આવ્યો છે. 60 વર્ષના વૃદ્ધ પતિએ રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિ પર કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ વૃદ્ધ સારવાર હેઠળ છે. માનકૂવા પોલીસે પત્ની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ સામત્રા ગામના 60 વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈ (પટેલ) ચાર વર્ષ પહેલા પત્નીનું અવસાન થયા બાદ એકલવાયું જીવન જીવતા હતા. દોઢ વર્ષ પહેલાં તેમણે મહેસાણાના હીરપુરા ગામની કૈલાસ કનુસિંહ ચૌહાણ નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. કૈલાસના પણ પહેલા લગ્ન થયેલા હતા અને પતિ સાથે છૂટાછેડાં થયેલા છે. ધનજીભાઈને ત્રણ પુત્રો છે જેમાં બે પુત્રો વિદેશમાં (શીશલ્સ અને લંડન) રહે છે જ્યારે ત્રીજો પુત્ર કપિલ પરિવાર સાથે સામત્રામાં જ રહે છે.
– મહિલાએ પૈસાની લાલચે લગ્ન કર્યા હોવાનો શંકા સામે આવી છે…
લગ્ન બાદ કૈલાસે ધનજીભાઈની પ્રથમ પત્નીના આશરે 18 તોલાના સોનાના દાગીના મંગળસૂત્ર, કંઠી, વીંટી અને પાટલા પોતાની પાસે કબ્જે રાખ્યા હતા અને પાછા આપવા ઈન્કાર કરતી હતી. ધનજીભાઈ ઘરેણાં માગે તો વારંવાર ઝઘડા થતાં હતા. દરમિયાન કૈલાસે ભુજમાં મકાન પણ લીધું હતું અને એ માટે વારંવાર ધનજીભાઈ પાસે રૂપિયા માંગતી હતી, ઈન્કાર કરતા ધનજીભાઈને મારી નાખવાની ધમકીઓ આપતી હતી. આ ત્રાસ અંગે ધનજીભાઈએ પુત્ર તથા ગામના આગેવાનોને પણ રજૂઆત કરી હતી.
– પતિ પર કેરોસીન છાંટી સળગાવ્યો…
ગઈકાલે સાંજના ભાગે કૈલાસે વધુ રૂપિયા માંગતાં ધનજીભાઈએ ઈન્કાર કર્યો હતો, જેના કારણે કૈલાસ ઉશ્કેરાઈને “આજે તો તને જીવતો નહીં મૂકું” કહી ધનજીભાઈને ખેંચીને આંગણાની બાજુના ગેરેજમાં લઈ ગઈ હતી, ત્યાં રાખેલી કેરોસીનની બોટલ ખોલીને ધનજીભાઈ પર કેરોસીન છાંટ્યું અને દિવાસળી સળગાવી ફેંકી દીધી હતી. ધનજીભાઈ ભડભડ સળગવા લાગ્યા હતા અને બચાવો બચાવોની બૂમો પાડતાં હતા. કૈલાસ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી જઈને દરવાજો બંધ કરી દીધો હતો.
– 90 ટકા દાઝી ગયેલા વૃદ્ધ ધનજીભાઈની હાલત ગંભીર…
બૂમો સાંભળીને પુત્ર કપિલ અને ગામલોકો દોડી આવ્યા અને ધનજીભાઈને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તબીબો અનુસાર ધનજીભાઈ 90 ટકાથી વધુ દાઝી ગયા છે અને હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
– પોલીસે પત્નીને દબોચી ગુનો દાખલ કર્યો છે…
ધનજીભાઈના નિવેદનના આધારે માનકૂવા પોલીસે પત્ની કૈલાસ સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે કૈલાસને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે. બનાવની તપાસ ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ગોહિલ કરી રહ્યા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
